ઉત્તરાખંડ એ વાદીઓનું રાજ્ય છે. કેટલાય લોકો અહીં તીર્થ યાત્રા કરવા આવે છે તો વળી અનેક લોકો અહીં ફરવા પણ આવે છે. આમ તો અહીં બધી જ જગ્યાઓ જોવાલાયક છે પણ ચમોલી ગામની વાત જ ન્યારી છે. અહીં આવતાની સાથે જ એવું લાગે જાણે સુંદરતા આપણું સ્વાગત કરી રહી છે.
હિમાલયની મધ્યે આવેલા આ ગામની એક બાજુ ધાર્મિક સ્થળો છે તો બીજી બાજુ હિલ સ્ટેશન, ઝરણા અને નદીઓ. અહીંની મુખ્ય નદી અલકનંદા છે અને આસપાસમાં મખમલી ઘાસના મેદાનો છે. 3525 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું ચમોલી ઉત્તરાખંડની શાન કહેવાય છે.
1. બદ્રીધામ
આ દેશના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરની સ્થાપના ઋષિ શંકરાચાર્યએ કરી હતી. એવું માનવામાં આવે છે ગંગા તેના અવતરણ બાદ 12 ધરાઓમાં ધરતી પર આવી હતી. જેમાંની એક અલકનંદા. એક માન્યતા એ પણ છે કે આ સ્થળે ભગવાન વિષ્ણુ ઘણી કઠોર સાધના કરી રહ્યા હતા ત્યારે ભારે હિમવર્ષા થઈ. વિષ્ણુને તેનાથી બચાવવા લક્ષ્મી માતાએ બોરના ઝાડનું સ્વરૂપ લીધું. જ્યારે ભગવાન વિષ્ણુને આ વાતની ખબર પડી ત્યારે તેમણે નક્કી કર્યું કે તે જ સ્થાને લક્ષ્મી માતા બદ્રી સ્વરૂપે પૂજવામાં આવશે. અહીં લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવે છે.
2. હેમકુંડ
હેમકુંડ સાહેબ શીખોનું એક ધાર્મિક સ્થળ છે. સમુદ્રસપાટીથી આશરે 4632 ફેટની ઊંચાઈ પર આવેલા આ સ્થળને 7 પર્વતમાળા દ્વારા ઘેરાયેલું છે. શીખોના 10 માં ગુરુ ગોવિંદ સિંઘે અહીં તપસ્યા કરી હતી. આ એક ખૂબ જ પવિત્ર ગુરુદ્વારા છે અને અહીં નજીકમાં આવેલા કુંડમાં ઘણા શ્રધ્ધાળુઓ સ્નાન કરે છે. ઓકટોબરથી એપ્રિલ દરમિયાન ભારે હિમવર્ષાને કારણએ ઘણી વર અહીંના રસ્તાઓ બંધ રહે છે.
3. ફૂલો કી ઘાટિ
આ જગ્યા કોઈ પણ પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગથી કમ નથી. અહીં 521 પ્રકારના વિવિધ ફૂલો છે. કહેવાય છે કે લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લેવા હનુમાનજી આ સ્થળે જ આવ્યા હતા. 1982 માં ફૂલો કી ઘાટીને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું હતું.
4. વિષ્ણુપ્રયાગ
સમુદ્રસપાટીથી 6000 ફીટની ઊંચાઈ પર આવેલી આ જગ્યાએ અલકનંદા અને ઘોળી નદીનો સંગમ થાય છે.
5. નંદપ્રયાગ
પોતાનું આગવી ધાર્મિક માન્યતા ધરાવતા, 2805 ફીટની ઊચાઇ પર આવેલા નંદપ્રયાગમાં ભગવાન ગોપાલને પૂજવામાં આવે છે. હિન્દુઓ માટે આ સ્થળનું ઘણું જ મહત્વ છે.
6. જોષીમઠ
ધાર્મિક માન્યતા કરતાં કુદરતી સુંદરતા માટે જોશીમઠ ખૂબ જ પ્રસિધ્ધ છે. હરિયાળા મેદાનો, હિમાચ્છાદિત શિખરો વાતાવરણને ખૂબ જ આકર્ષક બનાવે છે. જોશીમઠમાં ભગવાન નરસિંહનું મંદિર પણ છે. અહીં જતાં રસ્તામાં ચોપટા-તુંગનાથ પણ જઈ શકાય છે.
7. પંચ પ્રયાગ
હિમાલયમાંથી નીકળતી પાંચ નદીઓનો આ જગ્યાએ સંગમ થાય છે એટલે તેને પંચ પ્રયાગ કહેવાય છે. આ પાંચ પ્રયાગ એટલે: વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ અને દેવ પ્રયાગ.
8. દેવ પ્રયાગ
અલકનંદા અને ભાગીરથીનું સંગમ સ્થળ એટલે દેવ પ્રયાગ. અહીં કેટલાય પ્રસિદ્ધ મંદિરો પણ છે. ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ લઈને બલિ રાજા પાસે ત્રણ ડગલાં જમીન માંગી હતી. અહીં ગંગા કિનારે દશેરા, રામનવમી, અને વસંત પંચમીનો મેળો ભરાય છે. વળી, કુદરતી સૌંદર્ય અહીં માણવાલાયક છે.
9. ઔલી
ઔલી એ ઉત્તરાખંડનું સૌથી સુંદર ગામોમાંનું એક છે. કુદરતી સુંદરતા અને બર્ફીલા માહોલ માટે ઔલી પ્રખ્યાત છે. સમુદ્રસપાટીથી 2800 ફીટ ઊંચાઈ પર આવેલા ઔલી ખાતે લોકો સ્કીઇંગ કરવા આવે છે. ઓક અને દેવદારના વૃક્ષો અને સફરજનના બગીચાઓ આ નાનકડા નગરની સુંદરતામાં વધારો કરે છે. ઘણા લોકો અહીં ટ્રેકિંગ માટે પણ આવે છે.
10. ગોપેશ્વર
11. વસુંધરા વૉટરફોલ્સ
લગભગ 400 ફૂટ ઊંચો આ વોટરફોલ ભાગીરથી પર બનેલો છે અને તે બદ્રીનાથથી 9 કિમી દૂર આવેલો છે. વસુંધરા વોટરફોલ ચમોલીની સૌથી સુંદર જગ્યાઓમાંનો એક છે.

કેવી રીતે પહોંચવું?
બસ કે પ્રવેત ટેક્સી દ્વારા ચમોલી પહોંચવા છેક સુધી પાકો રસ્તો ઉપલબ્ધ છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: ઋષિકેશ, 105 કિમી દૂર
સૌથી નજીકનું એરપોર્ટ:જોલી ગ્રાન્ટ એરપોર્ટ દહેરાદૂન, 221 કિમી
.